ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી તા. ૧૬-૯-૨૦૨૨ના રોજ ઘાટલોડિયા સત્સંગ વિચરણ અર્થે પધાર્યા. રસ્તામાં એક બોર્ડ આવ્યું જેના પર ગુરુજીની દૃષ્ટિ પડી. બોર્ડમાં લખ્યું હતું :

“મૂર્તિનું વેચાણ ચાલુ છે.”  

આ બોર્ડ વાંચતાં જ પરભાવી સ્વરૂપ ગુરુજી પરભાવી મસ્તીમાં આવી ગયા.

“જુઓ, જુઓ અહીં લખ્યું છે: મૂર્તિનું વેચાણ ચાલુ છે. આપણે પણ મૂર્તિનું વેચાણ ચાલુ છે; બંધ નથી.”

“અમે તો આવ્યા મૂર્તિ દેવા, જેને જોઈએ તે આવજો લેવા.”

ગાડીમાં બિરાજ્યા થકા જાણે સમગ્ર બ્રહ્માંડને આમંત્રણ આપતાં હોય તેમ ગુરુજી હસ્તના લટકા કરતા બોલ્યા,

“અહીં મૂર્તિનું, મહારાજના સુખનું વેચાણ ચાલુ છે. માટે જેને જોઈએ તે આવજો... એના માટે તો મહારાજ ને અમે આવ્યા છીએ.”

જેના રોમેરોમમાં નર્યો પરભાવ જ ભર્યો છે તેવા વ્હાલા ગુરુજીની અવરભાવની કોઈ પણ વાત કે પ્રસંગને સીધા જ પરભાવ સાથે જોડી સૌને પરભાવ તરફ ગતિ કરાવવાની આ અલૌકિક રીત છે.