• પ્રાગટ્ય : સંવત ૨૦૧૫, આસો સુદ દસમ
  • પ્રાગટ્ય સ્થળ : ગામ - દદુકા, તાલુકો - સાણંદ, જિલ્લો - અમદાવાદ, રાજ્ય - ગુજરાત, ભારત
  • પ્રાગટ્ય આશીર્વાદ : અ.મુ. સદ્. શ્રી કેશવપ્રિયદાસજી સ્વામી (સદ્. મુનિસ્વામી)ના દિવ્ય આશીર્વાદથી તેઓનું પ્રાગટ્ય થયું છે.
  • પૂર્વાશ્રમનું નામ : ઘનશ્યામભાઈ
  • માતાનું નામ : નર્મદાબા
  • પિતાનું નામ : કેશવલાલ નંદાણી
  • ભાઈનું નામ : જગદીશભાઈ નંદાણી
  • ગુરુનું નામ : પ.પૂ. અ.મુ. સદ્. શ્રી દેવનંદનદાસજી સ્વામીશ્રી (ગુરુદેવ પ.પૂ.બાપજી)
  • અભ્યાસ : ચાર્ટડ એકાઉન્ટન્ટ (સી.એ.), બી.કોમ
  • સંત દીક્ષા : સંવત ૨૦૩૭, માગસર સુદ એકાદશી, ગુરુવાર (સન ૧૯૮૦, ૧૮ ડિસેમ્બર)ના રોજ ઘનશ્યામનગર (ઓઢવ, અમદાવાદ) મંદિરે આપવામાં આવી હતી.
  • અધ્યક્ષ : ગુરુદેવ પ.પૂ.બાપજીએ તા. ૨૮-૧૨-૨૦૧૨ના રોજ પોતાના અનુગામી આધ્યાત્મિક અને વ્યવહારિક વારસદાર સત્પુરુષ તરીકે સમગ્ર સત્સંગ સમાજ સમક્ષ તેઓને ઘોષિત કર્યા હતા.
  • પ્રસિદ્ધિ : ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી
  • કરેલાં મહત્ત્વનાં કાર્યો :
    • અનાદિમુક્તની સ્થિતિના જ્ઞાનની યથાર્થ સ્પષ્ટ સમજૂતી આપી તેનું વિશ્વવ્યાપી પ્રવર્તન કર્યું.
    • સંત થયા બાદ તરત જ સમગ્ર SMVS સંસ્થાના વહીવટની તમામ જવાબદારી પોતાના શિરે ઉપાડી લઈ ગુરુદેવ પ.પૂ.બાપજીને તેની ચિંતામાંથી મુક્ત કર્યા.
    • ગુરુદેવ પ.પૂ.બાપજીના પરભાવના દિવ્ય સ્વરૂપની સમગ્ર સત્સંગ સમાજને ઓળખાણ કરાવી, તેઓનો મહિમા અનંતને સમજાવ્યો અને તેમની સાથે આત્મબુદ્ધિ કરવાની રીત શીખવી.
    • SMVS સંસ્થાનું આદર્શ નેતૃત્વ સંભાળી તેનું સુયોગ્ય રીતે વિવિધ કાર્યાલયોની રચના કરી સંચાલન કર્યું.
    • સમગ્ર સંત સમાજ અને હરિભક્ત સમાજનું કથાવાર્તા તથા માતૃવાત્સલ્યતા અને વર્તનશીલ જીવન દ્વારા ઘડતર કરીને શ્રીહરિના રાજીપામાં વર્તતા, દિવ્યજીવન જીવતાં, વર્તનશીલ અને ગુણવત્તાસભર સમાજની રચના કરી.
    • શ્રીજીસંમત કારણ સત્સંગનાં સનાતન સિદ્ધાંતોને ઉજાગર કરી છડેચોક પ્રવર્તાવ્યા.
    • ગુરુદેવ પ.પૂ.બાપજીને ‘સ્વામી દેવનંદનદાસજી’માંથી ‘બાપજી’નું અજોડ બિરુદ સમગ્ર સંત-હરિભક્ત સમાજના અંતરે અને મુખમાં ગુંજતું કર્યું.
    • SMVSના શૂન્યમાંથી સર્જનના સર્વે દાખડા, સર્વે સફળતાનો સર્વે યશ પોતાના બદલે હરહંમેશ ગુરુદેવ પ.પૂ.બાપજીને જ ચરણે સમર્પિત કર્યો. પોતે સંપૂર્ણ સેવકભાવે વર્ત્યા છે. તથા વર્તી રહ્યા છે.
  • સાહિત્યિક સેવા : તેઓએ જ્ઞાન, સિદ્ધાંત, વર્તન તથા સંસ્કારલક્ષી અનેક પુસ્તકોની રચના કરી તથા કરાવી રહ્યા છે.

ટૂંક પરિચય :

ગુરુદેવ પ.પૂ.બાપજીનું જે હેતુ માટે પ્રાગટ્ય હતું તેને પૂર્ણ કરવા માટે પોતાના ક્રાંતિકારી કાર્યના પ્રારંભ અગાઉથી જ પૂર્વાપર આયોજન રૂપે તેઓશ્રીએ અમીરપેઢીના સમર્થ સદ્‌. મુનિબાપા પાસે પ્રાર્થના કરી. દદુકા ગામના પ.ભ.શ્રી કેશવલાલ ઠક્કરના ઘેર પુત્રનાં પારણાં બંધાય અને એ પુત્ર પણ મહારાજ પોતાના મુક્ત સ્વરૂપે મોકલે તેવી પ્રાર્થના કરી. ત્યારે સદ્‌. મુનિબાપાએ આશીર્વાદ આપ્યા કે, “જાવ, એક નહિ બે પુત્ર થશે; પરંતુ આધા તુમ્હારા, આધા હમારા.” સદ્‌. મુનિબાપાના સંકલ્પ ને આશીર્વાદ અનુસાર તા. ૮-૧૦-૧૯૫૯ના રોજ પ્રાગટ્ય થયું ‘આધા હમારા’ એટલે મુક્તરાજ ઘનશ્યામભાઈનું.

તપ, ત્યાગ, વૈરાગ્ય, સાદગી, ભજન-ભક્તિમય જીવન, સંસાર પ્રત્યે સંપૂર્ણ અનાસક્તિ આદિ કલ્યાણકારી ગુણોથી એમની પ્રતિભા બાલ્યાવસ્થાથી જ જુદી તરી આવતી. બાલ્યાવસ્થાથી જ સદ્‌. મુનિબાપા સાથે એવી અપ્રતિમ પ્રીતિ અને આત્મબુધ્ધિ કેળવી તેઓશ્રી સદ્‌. મુનિબાપાનો અતિશે રાજીપો કમાયા હતા. અવરભાવમાં ચાર્ટડ એકાઉન્ટન્ટનો ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરી તેઓશ્રી સન ૧૯૭૮માં સૌપ્રથમ ગુરુદેવ પ.પૂ.બાપજીના યોગમાં આવ્યા અને જાણે ‘પ્રથમની પ્રીત હતી ને પ્રથમ મેળાપ થયો’ તેમ સમુદ્રનું પાણી સમુદ્રમાં સમાઈ ગયું એ ન્યાયે મુક્તરાજ ઘનશ્યામભાઈ ગુરુદેવ પ.પૂ.બાપજીના સંકલ્પમાં હોમાઈ ગયા. ગુરુદેવ પ.પૂ.બાપજી સાથે અપ્રતિમ પ્રીતિ કરી, આત્મબુદ્ધિ કરી રાજીપો કમાયા.

તા. ૭-૧૦-૧૯૮૦ના રાતના ૧૨ વાગ્યે “તમે આ લોકનું ઑડિટ કરવા નથી આવ્યા, તમે તો અનંત જીવોનું ઑડિટ કરી ઠેઠ મૂર્તિના સુખની સહી કરવા માટે આવ્યા છો. માટે તૈયાર થઈ જાવ. જે હેતુ માટે મહારાજ આપને લાવ્યા છે તે સમય પાકી ચૂક્યો છે.” આવી ગુરુની હાકલ થતાં જ મુક્તરાજ ઘનશ્યામભાઈએ ગૃહત્યાગ કરી દીધો.

જીવનપ્રાણ અબજીબાપાશ્રીએ સમજાવેલ શ્રીજીસંમત સિધ્ધાંતોને ઉજાગર કરવા માટેના વિરોધોના વંટોળ વચ્ચે મુક્તરાજ ઘનશ્યામભાઈની સંતદીક્ષા નક્કી થઈ. મહારાજનો સંકલ્પ કંઈક જુદો જ હતો. તેથી ગુરુદેવ પ.પૂ.બાપજીએ વરતાલના ૧૮મા વચનામૃત “તમારા સર્વેનો આચાર્ય ને ગુરુ ને ઉપદેષ્ટા ને ઇષ્ટદેવ હું જ છું.” આ મુજબ ઘનશ્યામનગર, અમદાવાદ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણ અને વ્હાલા હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ સમક્ષ તા. ૧૮-૧૨-૧૯૮૦ ના રોજ સાંજે ૦૪:૦૦ વાગ્યે ભાગવતી દીક્ષાવિધિનો  પ્રારંભ થયો. આ ભાગવતી દીક્ષા સ્વયં શ્રીજીમહારાજ પોતે આપે છે તેવું પ્રગટપણું જણાવતાં ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વહસ્તે પ્રગટપણે પાર્ષદવર્ય ઘનશ્યામ ભગતના ભાલ મધ્યે ચાંદલો કર્યો, કંઠમાંથી હાર પહેરાવ્યો અને વસ્ત્રો આપ્યાં તથા આશીર્વાદ આપતાં કહ્યું, “આ દીક્ષા તને હું આપું છું. ગમે તેવો અધમ અને પાપી જીવ હશે પણ તું એનો મોક્ષસંબંધી જે જે સંકલ્પ કરીશ તે અમે પૂરો કરીશું અને એને છેક મૂર્તિના સુખમાં પહોંચાડીશું. માટે અમે સદાય તારા ભેળા છીએ.” મહાપ્રભુના આશીર્વાદે આ પાર્ષદમુક્તનું નામ આપ્યું, “સાધુ સત્યસંકલ્પદાસ”. આ દિવ્ય ભાગવતી દીક્ષાનાં દિવ્ય દર્શન દીક્ષામાં ઉપસ્થિત ઘણા હરિભક્તોને થયાં હતાં.

સંતદીક્ષા બાદ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી ગુરુદેવ પ.પૂ.બાપજીના સંકલ્પોમાં ભળી ગયા અને ગુરુદેવ પ.પૂ.બાપજીની તમામ આધ્યાત્મિક અને વ્યવહારિક ચિંતા પોતાના શિરે લઈ સમગ્ર સત્સંગ સમાજના ઘડતર માટેની દિવ્ય સેવામાં રત થયા. ત્યારથી અદ્યાપિ ગુરુદેવ પ.પૂ.બાપજીની રુચિ અને આજ્ઞાનુસાર ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી સમગ્ર એસ.એમ.વી.એસ. સંસ્થાનું સંચાલન કરી રહ્યા છે.

તા. ૨૮-૧૨-૨૦૧૨ના રોજ સંસ્થાના ‘રજત જયંતી મહોત્સવ’ ઉપક્રમે હજારો અને લાખોની જનમેદની સમક્ષ ગુરુદેવ પ.પૂ.બાપજીએ પોતાના અનુગામી આધ્યાત્મિક અને વ્યવહારિક વારસદાર સત્પુરુષ તરીકે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીને ઘોષિત કર્યા હતા. વર્તમાનકાળે ગુરુદેવ પ.પૂ.બાપજીના શિષ્ય મંડળમાં સૌ સંતો ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના રાજીપામાં નિરંતર વર્તે છે. તથા સમગ્ર હરિભક્ત સમાજ પણ તેઓના રાજીપામાં નિરંતર વર્તે છે.