અનાદિમુક્તનો મહિમા

          સ્વામિનારાયણ ભગવાન પછીની બીજા નંબરની પદવી અનાદિમુક્તની છે. માટે સ્વામિનારાયણ ભગવાનના અન્વયસ્વરૂપના સંબંધવાળા અને વ્યતિરેકસ્વરૂપના સંબંધવાળા આ સર્વે કરતાં તેઓ સર્વશ્રેષ્ઠ અને સૌથી મોટા છે.

         સ્વામિનારાયણ ભગવાનમાં જેવી સામર્થી છે તેવી સર્વે સામર્થી અનાદિમુક્તમાં પણ છે. અનાદિમુક્ત સેવક હોવાથી તેમનામાં સ્વામી, દાતા અને નિયંતા આ સામર્થી નથી. આ સામર્થી કેવળ સ્વામિનારાયણ ભગવાન પાસે જ છે. વળી, ધ્યાન, ભજન અને ઉપાસના કેવળ સ્વામિનારાયણ ભગવાનનું જ થાય.

         સ્વામિનારાયણ ભગવાનમાં જેવા દિવ્ય કલ્યાણકારી ગુણો છે તેવા અનાદિમુક્તમાં પણ છે.

         સ્વામિનારાયણ ભગવાન જેમ આ લોકમાં મનુષ્યને મનુષ્ય જેવા દેખાયા છતાં તેઓ મનુષ્ય નહોતા. તેઓ પરભાવમાં જ છે અને દિવ્યાતિદિવ્ય છે. તેમ અનાદિમુક્ત પણ આ લોકમાં મનુષ્યને મનુષ્ય જેવા દેખાતા હોવા છતાં તેઓ પરભાવમાં જ છે, દિવ્ય જ છે.

         અનાદિમુક્તનો રાજીપો થાય, કૃપા થાય એમાં સ્વામિનારાયણ ભગવાનનો રાજીપો અને કૃપા આવી જાય. કારણ કે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં અનાદિમુક્તો રહે છે.

  • શ્રીજીમહારાજે સ્વમુખે વચનામૃતમાં અનાદિમુક્તનો મહિમા જણાવતા કહયું છે :

         “ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય એવા જે સંત તે કેવા હોય તો, ઇન્દ્રિયો-અંત:કરણ આદિક જે માયાના ગુણ તેની જે ક્રિયા તેને પોતે દાબીને વર્તે પણ એની ક્રિયાએ કરીને પોતે દબાય નહિ, ને ભગવાન સંબંધી ક્રિયાને જ કરે, ને પંચવર્તમાનમાં દૃઢ રહેતા હોય, ને પોતાને બ્રહ્મરૂપ (મૂર્તિરૂપ) માને ને પુરુષોત્તમ ભગવાનની ઉપાસના કરે, એવા જે સંત તેને મનુષ્ય જેવા ન જાણવા ને દેવ જેવા પણ ન જાણવા, કેમ જે એવી ક્રિયા દેવ-મનુષ્યને વિષે હોય નહિ, અને એવા સંત મનુષ્ય છે તોપણ ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય છે, માટે જેને કલ્યાણનો ખપ હોય એવા જે પુરુષ તેને એવા સંતની સેવા કરવી.”

                                                                                                 - વચનામૃત ગઢડા છેલ્લાનું ૨૬

  • અબજીબાપાશ્રીએ સ્વમુખે અનાદિમુક્તનો મહિમા જણાવતા કહયું છે :

“જેમ શ્રીજીમહારાજ અનાદિ છે ને સ્વતંત્ર છે તેમ જ મુક્ત પણ અનાદિ અને સ્વતંત્ર છે. અને જેટલું શ્રીજીમહારાજનું કર્યું થાય છે તેટલું જ એમના મુક્તનું કર્યું પણ થાય છે.”

                                                                              - બાપાશ્રીની વાતો ભાગ-૧,વાર્તા-૧

અનાદિમુક્ત એટલે શું ?

         ભગવાન શ્રી સ્વામિનારાયણ, જીવનપ્રાણ અબજીબાપાશ્રી તથા શ્રીજીસમકાલીન અને બાપાશ્રી સમકાલીન સત્પુરુષોએ ‘અનાદિમુક્ત’ની પદવી-સ્થિતિને ખૂબ સરળપણે સમજાવી છે. તેઓએ ‘અનાદિમુક્ત’ શબ્દનો સાવ સરળ અર્થ સમજાવ્યો : “સિદ્ધમુક્તો અનાદિકાળથી ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાં રહી મૂર્તિનું સુખ લે છે. માટે તેમને ‘અનાદિમુક્ત’ કહેવાય છે.”

         ભગવાન સ્વામિનારાયણની દિવ્યાતિદિવ્ય મૂર્તિનું સર્વોત્તમ અને સનાતન સુખ ભોગવવા માટેની સર્વશ્રેષ્ઠ અને સર્વોચ્ચ એવી સેવકભાવની પદવી ‘અનાદિમુક્ત’ની છે.

         અનાદિમુક્તો ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ સાથે સંપૂર્ણ સાધર્મ્યપણું પામેલા છે. (સાધર્મ્યપણું અર્થાત્ સરખાપણું.) માટે અનાદિમુક્તનું સ્વરૂપ-રૂપ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ જેવું છે અર્થાત્ પુરષોત્તમરૂપ છે.

          ‘અનાદિમુક્ત’ એક નથી, અનંત છે. આ અનંત અનાદિમુક્તો ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ સાથે રોમ-રોમપણે એકતા પામીને તદ્દરૂપ, તલ્લીન, એકમેક, ઓતપ્રોત અને રસબસભાવે મૂર્તિનું નિરંતર સુખ લીધા જ કરે છે. આવા અનંત અનાદિમુક્તો ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાં રહ્યા છે. અનંત અનાદિમુક્તો એક જ મૂર્તિમાં રહ્યા હોવા છતાં દરેક અનાદિમુક્તને સુખ લેવા માટે આગવી મૂર્તિ છે.

          ભગવાન સ્વામિનારાયણે સમજાવેલ વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત: વિશિષ્ટ રીતે અદ્વૈત એટલે વિશિષ્ટાદ્વૈત. અર્થાત્ વસ્તુ બે પણ દેખાવ એક જ. ભગવાન અને ભક્ત (મુક્ત) એમ છે બે પણ દેખાવ એક જ રહે છે માટે વિશિષ્ટાદ્વેત કહ્યું છે. અનંત અનાદિમુક્તો ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાં રહ્યા છે માટે તેમનો જુદો દેખાવ બહાર દેખાતો નથી. માટે મહારાજ અને મુક્ત છે બે પરંતુ મુક્ત મૂર્તિમાં રસબસભાવે લીન થઈ જાય છે પછી મહારાજ અને મુક્ત એમ બે હોવા છતાં દેખાવ એક ભગવાન સ્વામિનારાયણનો જ રહે છે.

          અનાદિમુક્તની પદવી એ સેવકભાવની પદવી છે. સુખભોક્તાપણાની પદવી છે. ભગવાન સ્વામિનારાયણ અને અનાદિમુક્તને વિષે સ્વામી-સેવકભાવ છે. અનંત અનાદિમુક્તો સ્વામિનારાયણ ભગવાન જેવા પુરુષોત્તમરૂપ થઈ પુરૂષોત્તમનું સુખ ભોગવતા હોવા છતાં એ સર્વેને સુખના દાતા તો ભગવાન સ્વામિનારાયણ એક જ છે અને અનંત અનાદિમુક્તો છે એ સુખના ભોક્તા છે. આમ, દાતા-ભોક્તાના ન્યાયે સ્વામી-સેવકભાવ તો કાયમ માટે રહે જ છે. અર્થાત્ ભગવાન સ્વામિનારાયણ એક જ છે અને મુક્તો અનેક છે.

          અનંત મુક્તો ભેગા થઈ ભગવાન બની પણ ન શકે અને ભગવાન બનાવી પણ ન શકે. જ્યારે ભગવાન સ્વામિનારાયણ અનંત અનાદિમુક્તોને બનાવનાર અને સુખના દાતા છે. 

          આ અનાદિમુક્તની સ્થિતિ એ પરભાવની સ્થિતિ છે. જે આ લોકની માયિક બુદ્ધિથી કે કેવળ શાસ્ત્ર વાંચવાથી સમજાતી નથી. આ સ્થિતિને સમજાવવા માટે એવા અનાદિમુક્ત સત્પુરુષની જરૂર પડે કે જેઓ આવી પરભાવની સ્થિતિને પામેલા હોય.

અનાદિમુક્ત કોણ છે ?

          અનાદિમુક્ત કોણ છે ? આ સમજવા માટે પ્રથમ અનાદિમુક્તની પ્રાપ્તિ અને અનાદિમુક્તની સ્થિતિ આ બંનેની સમજણ મેળવવી જરૂરી છે. 

  • અનાદિમુક્તની પ્રાપ્તિ :

          અનાદિમુક્તની પ્રાપ્તિ એ સાધનદશામાં રહેનારા માટે છે. અનાદિમુક્તની સ્થિતિ એ પરભાવની સ્થિતિ છે. પરંતુ તે પામતા પૂર્વે અનાદિમુક્તની પ્રાપ્તિ થવી ફરજિયાત છે.

          અનાદિમુક્તની પ્રાપ્તિ મેળવવા માટે સૌપ્રથમ ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપને અન્વય-વ્યતિરેકપણે જેમ છે તેમ યથાર્થ ઓળખવું ફરજિયાત છે. જેણે કરીને ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી નિષ્ઠા થાય છે. આવી સર્વોપરી નિષ્ઠા થવાથી જીવાત્માને ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપનો સાક્ષાત્-વ્યતિરેક સંબંધ થાય છે. આવો વ્યતિરેકનો સંબંધ થાય અને અનાદિમુક્ત સત્પુરુષ દ્વારા અનાદિમુક્ત કર્યાના આશીર્વાદ મળે તથા અનાદિમુક્તની લટક પ્રાપ્ત થાય. આ બંનેના યોગથી અનાદિમુક્તની પ્રાપ્તિ થાય છે. આ પ્રાપ્તિ થવાથી ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું સુખ આવી જતું નથી. કારણ આ ‘અનાદિમુક્ત’ની પ્રાપ્તિ જ છે જે હજુ સાધન દશામાં જ થયેલી છે. તેમ છતાં એટલું તો નિશ્ચિંત છે કે આવી પ્રાપ્તિ થનાર આત્મા અનાદિમુક્તની લટક દ્વારા જરૂરથી અનાદિમુક્તની સ્થિતિને પામે છે.

          કારણ સત્સંગમાં જોડાયેલા સંતો-હરિભક્તો કે જેમને ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી નિષ્ઠા અને અનાદિમુક્તનાં આશીર્વાદ તથા લટક પ્રાપ્ત થઈ છે તે સર્વેને અનાદિમુક્તની પ્રાપ્તિ થઈ કહેવાય અર્થાત્ તેમને હજુ અનાદિમુક્તની સ્થિતિ બાકી છે. માટે તે સર્વેને પ્રાપ્તિવાળા ‘અનાદિમુક્ત’ કહેવાય.

  • અનાદિમુક્તની સ્થિતિ :

          અનાદિમુક્તની સ્થિતિ એ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાં નિરંતર રહેનારા સિદ્ધમુક્તો માટે છે. અનાદિમુક્તની પ્રાપ્તિ થયા પછી અનાદિમુક્તની સ્થિતિ પામવી ફરજિયાત છે. અનાદિમુક્તની સ્થિતિ પામવાથી જ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિના સુખનો અનુભવ થાય છે.

          અનાદિમુક્તની સ્થિતિ પામેલા સિદ્ધમુક્તો નિરંતર ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાં સુખ લીધા જ કરે છે. તેમને મૂર્તિની બહાર આવવા-જવાપણું નથી. અનાદિમુક્તો મૂર્તિમાં જ રહે છે તો આ લોકમાં-અવરભાવમાં આવી અનાદિમુક્તની સ્થિતિ કોણ આપે ? જે સમજવું અત્યંત અનિવાર્ય છે. કેવળ અનાદિમુક્તની લટક આપી મૂર્તિના સુખભોક્તા કરાવવા માટે સ્વયં ભગવાન સ્વામિનારાયણ પોતાના સંકલ્પે કરીને આ લોકને વિષે આવા અનાદિમુક્ત સત્પુરુષ રૂપે મનુષ્યને મનુષ્ય જેવા દેખાય છે તેઓને સંકલ્પ સ્વરૂપ કહેવાય છે. ધ્યાન, ભજન ઉપાસના એ માત્ર મૂળ મૂર્તિ ભગવાન સ્વામિનારાયણનું જ થાય તે હેતુથી ભગવાન સ્વામિનારાયણની અજોડ ઉપાસનાને અનુસરી આવા સંકલ્પ સ્વરૂપોને આ લોકમાં આપણે ‘અનાદિમુક્ત’ સત્પુરુષ તરીકે ઓળખીએ છીએ. સિદ્ધદશામાં વર્તનાર આ અનાદિમુક્ત સત્પુરુષ નિરંતર મૂર્તિમાં રહી મૂર્તિનું સુખ લે છે. અને એ અનુભવેલ સુખનું વર્ણન કરે છે તથા એ મૂર્તિના સુખને પામવાનું જ્ઞાન તથા ‘અનાદિમુક્ત’ની લટક આપે છે. જેનાથી મૂર્તિનું સુખ પમાય છે. આવા સિદ્ધ મહાઅનાદિમુક્ત સત્પુરુષના વચનમાં વિશ્વાસ રાખવાથી, એમના ઉપદેશને અનુસરવાથી મુમુક્ષુ આત્મા જરૂરથી ‘અનાદિમુક્ત’ની સ્થિતિને પામે છે.

          આમ, અનાદિમુક્તની સ્થિતિને પામેલા સિદ્ધ મુક્તો જેઓ પરભાવના સુખમાં રહ્યા થકા ભગવાન  સ્વામિનારાયણના સંકલ્પે કરી આ લોકમાં મનુષ્યને મનુષ્ય જેવા દેખાય છે તેમને સ્થિતિ પામેલ અનાદિમુક્ત જાણવા

            અનાદિમુક્ત કોણ છે ? તેને જો ટૂંકમાં સમજીએ તો...

                        સ્વામિનારાયણ ભગવાનના વ્યતિરેક સંબંધવાળા સાધનિક સંતો-હરિભક્તો કે જેમને નિષ્ઠા અને અનાદિની લટકની પ્રાપ્તિ થઈ છે તે પ્રાપ્તિવાળા અનાદિમુક્ત કહેવાય.

          આ કારણ સત્સંગમાં સ્વામિનારાયણ ભગવાનના સંકલ્પે કરી જે સત્પુરુષો દર્શન આપે છે તેમને સ્થિતિવાળા અનાદિમુક્ત કહેવાય. જેમ કે, વ્હાલા ગુરુદેવ પ.પૂ. બાપજી અને ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી આ બંને સ્થિતિવાળા અનાદિમુક્ત કહેવાય. જેમને સત્પુરુષ, સંકલ્પ સ્વરૂપ, સિદ્ધમુક્ત એવા નામથી પણ સંબોધન આપી શકાય.

           અનાદિમુક્તની પદવી એ ભગવાન સ્વામિનારાયણની દિવ્યાતિદિવ્ય મૂર્તિનું સુખ લેવા માટેની સર્વશ્રેષ્ઠ પદવી છે. આવી અનાદિમુક્તની પદવી મેળવવી શા માટે અનિવાર્ય છે ? તે સમજવું અત્યંત જરૂરી છે.

          સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ સદાય દિવ્ય અને સાકાર છે. જ્યારે જીવાત્મા નિરાકાર છે. આ નિરાકાર જીવાત્મા સદા સાકાર એવા ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું સુખ કદી ન પામી શકે. જીવાત્માને આવી દિવ્યાતિદિવ્ય મૂર્તિનું સુખ પામવું હોય તો તેને નિરાકારમાંથી ભગવાન સ્વામિનારાયણની મૂર્તિરૂપ સાકાર થવું જ પડે. જેમ હળદરમાં હળદર જેવા પીળા રંગની જીવાત હોય અને મરચામાં મરચા જેવા લાલ રંગની જીવાત હોય ત્યારે જ એનું સુખ લઈ શકે છે. કારણ કે જેનું સુખ લેવું હોય તેના જેવા થવું જ પડે ત્યારે જ એનું સુખ આવે. જ્યાં સુધી વિજાતિપણું હોય ત્યાં સુધી સુખ ન આવે. એ જ રીતે નિરાકાર જીવાત્મા અને સદા સાકાર એવા ભગવાન સ્વામિનારાયણ આ બંને વિજાતિ છે. જેથી જીવાત્માને ભગવાન સ્વામિનારાયણનું સુખ ભોગવવું સંભવ નથી. આ સુખ લેવા માટે તો નિરાકાર જીવાત્માએ ભગવાન સ્વામિનારાયણના જેવા સજાતિ થવું જ પડે.

          ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપને સંપૂર્ણ સજાતિ તેમની મૂર્તિમાં રહેતા અનાદિમુક્તો છે. અનાદિમુક્તો ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ સાથે રોમરોમપણે એકતાને પામી સંપૂર્ણ સાધર્મ્યપણું પામ્યા છે માટે તેઓ મૂર્તિથી જુદા નથી. તેમનો આકાર પણ મૂર્તિથી જુદો નથી અને તેમનું રૂપ પણ મૂર્તિથી જુદું નથી. અનાદિમુક્તો મૂર્તિમાં રહે છે માટે તેમનું સ્વરૂપ, આકાર, દેખાવ આ બધું એકમાત્ર ભગવાન સ્વામિનારાયણના જેવું જ છે.

          આમ, ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું સુખ ભોગવવા માટે, આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ માટે અનાદિમુક્ત થવું ફરજિયાત છે.

  • અનાદિમુક્ત થવા માટેની પૂર્વભૂમિકા :
  1. સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરી સનાતન નિષ્ઠાની દૃઢતા કરવી
  2. નિયમ-ધર્મની દૃઢતા કરવી
  3. જીવનધ્યેયની દૃઢતા કરવી
  4. સાંખ્યજ્ઞાનની દૃઢતા કરવી
  5. પંચવિષયનો અભાવ કરવો
  6. હું કોણ છું ? સ્વસ્વરૂપની દૃઢતા કરવી

અનાદિમુક્ત કેવી રીતે થવાય ?

          ભગવાન સ્વામિનારાયણની બહુ મોટી કૃપા જેના ઉપર થાય તેને આવા ભવ્ય, દિવ્ય અને મોક્ષદાયી સ્વામિનારાયણ સંપ્રદાયનો યોગ થાય અને એમાંય અત્યંત કૃપા થાય ત્યારે આ ભવ્ય અને અનાદિમુક્તની સ્થિતિ પમાડે તેવા દિવ્ય કારણ સત્સંગની પ્રાપ્તિ થાય છે.

          કેવળ ભગવાન સ્વામિનારાયણના સંકલ્પથી આ લોકમાં અનાદિમુક્ત સત્પુરૂષ રૂપે દર્શન આપતા ગુરુદેવ પ.પૂ. બાપજી અને ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી જેવા સંકલ્પ-સ્વરૂપોનો આ દિવ્ય કારણ સત્સંગમાં જીવને યોગ થાય છે. આવા દિવ્ય સત્પુરુષના જોગ-સમાગમ, દિવ્ય સાંનિધ્ય, વર્તન તથા ઉપદેશ દ્વારા જીવને સનાતન ભગવાન સ્વામિનારાયણના સર્વોપરી સ્વરૂપની જેમ છે તેમ ઓળખાણ થાય છે.

          તેમના દ્વારા સમજાવવામાં આવતા આધ્યાત્મિક જ્ઞાન અને સિદ્ધાંતોમાં વિશ્વાસ સહિત હા પાડનારને ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપની દૃઢ નિષ્ઠા થાય છે અને ભગવાન સ્વામિનારાયણને વિષે પતિવ્રતાની ભક્તિ દૃઢ થાય છે. જેણે કરીને જીવને ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપની સાક્ષાત્ પ્રાપ્તિ થાય છે અર્થાત્ વ્યતિરેક સંબંધ થાય છે.

       સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ કરાવ્યા બાદ જીવાત્માની જીવદશા ટળાવી ભગવાનને સજાતિ કરવા સત્પુરુષ એ જીવને પોતાના સ્વરૂપની યથાર્થ ઓળખાણ કરાવે છે. તેઓ જીવાત્માનું યથાર્થ સ્વરૂપ ઓળખાવતા કહે છે, “તું આ દેહથી સંપૂર્ણ જુદો એવો આત્મા છે. દેહને અને આત્માને કોઈ જ સંલગ્નપણું નથી. દેહ જડ છે અને તું ચૈતન્ય છે. આ દેહ તે તારુ સ્વરૂપ નથી. તું દેહરૂપ નથી. તારે દેહનું સુખ નથી લેવાનું. તારું યથાર્થ સુખ તો પરમેશ્વર એવા ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું સુખ છે. માટે હવે તું સંપૂર્ણ સુખનો ભોક્તા એવો અનાદિમુક્ત છે. તું દેહમાં રહેનારો નથી. હવે તને મૂર્તિમાં રાખ્યો છે. હવે મૂર્તિ જ તારું ઘર છે, મૂર્તિ જ તારું સ્વરૂપ છે, મૂર્તિ જ તારો આકાર છે.” એવી રીતે સત્પુરુષ જીવને અનાદિમુક્તના આશીર્વાદરૂપી જ્ઞાન આપી સ્વ-સ્વરૂપની ઓળખાણ કરાવે છે. તેઓ ‘હું દેહ છું’ એ અજ્ઞાન ટળાવી ‘હું અનાદિમુક્ત છું’ આ જ્ઞાનનો પ્રકાશ કરાવે છે.

          આવા જ્ઞાનની માત્ર દૃઢતાથી ભગવાન સ્વામિનારાયણના સુખનો અનુભવ થતો નથી. આ જ્ઞાને કરીને તો જીવાત્માને કેવળ અનાદિમુક્તની પદવી પ્રાપ્ત થાય છે. ત્યારબાદ અનાદિમુક્તના આશીર્વાદ જેને પ્રાપ્ત થયા હોય તે હાલતાં, ચાલતાં, સર્વે ક્રિયામાં હું અનાદિમુક્ત જ છું, હું મૂર્તિમાં જ છું. જે કાંઈ પણ ક્રિયા કરે છે તે હું નથી કરતો. મૂર્તિમાં રહ્યા પછી સર્વે ક્રિયા મહારાજ જ કરે છે. એવી સમજણ દૃઢ કરી દેહના ભાવોને ભૂલી મુક્તભાવમાં રહેવાનો અભ્યાસ રાખે તો તેણે કરીને પોતાના સ્વ-સ્વરૂપની દૃઢતા થાય છે. ત્યારબાદ આવી રીતે અભ્યાસ કરનાર ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાં રહી મૂર્તિનું પ્રતિલોમ ધ્યાન કરવાનો અભ્યાસ રાખે. આવા પ્રતિલોમ ધ્યાનનો નિત્ય અભ્યાસ રાખે ત્યારે... ‘જે જેનું ચિંતવન કરે તે તે રૂપ થઈ જાય’ તે ન્યાયે એ ધ્યાનનો કરનારો અર્થાત્ અનાદિમુક્તના કોલ પામેલો આત્મા નિરાકાર મટી ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ જેવો સાકાર બનતો જાય છે અને અંતે મૂર્તિ સાથે રોમ-રોમપણે સંપૂર્ણ સાધર્મ્યપણાને, એકતાને પામી રસબસભાવે, નિરંતર ભગવાન સ્વામિનારાયણના પરભાવના સુખને પામે છે. ત્યારે તે સિદ્ધમુક્ત બને છે અર્થાત્ અનાદિમુક્તની સ્થિતિને પામે છે.

          આમ, ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી નિષ્ઠા, સત્પુરુષના વચનમાં દૃઢ વિશ્વાસ તથા અનાદિમુક્તનું જ્ઞાન, અનાદિમુક્તની લટક અને પ્રતિલોમ ધ્યાન આ ત્રણેના નિરંતર અભ્યાસે કરીને અનાદિમુક્તની સ્થિતિને પમાય છે, અનાદિમુક્ત થવાય છે.

  • અનાદિમુક્તની પ્રાપ્તિ થયા પછી અનાદિમુક્તની સ્થિતિ થવાના ઉપાય :
  1. શ્રીજીમહારાજ અને મોટાપુરુષનો અંતરનો રાજીપો કમાવો
  2. શ્રીજીમહારાજ અને મોટાપુરુષ સાથે આત્મબુદ્ધિ કરવી
  3. મુમુક્ષુતા દૃઢ કરવી
  4. સૌમાં દિવ્યદૃષ્ટિ કેળવવી અર્થાત્ અવરભાવમાં પરભાવ જોવો
  5. શ્રીજીમહારાજની મૂર્તિનું પ્રતિલોમભાવે ધ્યાન કરવું

મૂર્તિનું સુખ એટલે શું ? અને તે સુખ કેવું છે?

          મૂર્તિમાં અનાદિમુક્તની લટકે જોડાવાથી જે અનુભવજ્ઞાન થાય તે જ મૂર્તિનું સુખ. જેને કારણ સત્સંગની પરિભાષામાં કહેવાય અનુભવજ્ઞાન. આમ, મૂર્તિનું સુખ અને અનુભવજ્ઞાન આ બે એક જ છે.

          જેમ સાકર જમ્યાનો અનુભવ થયો તેને ગળપણ કહીએ છીએ. કારેલાં જમ્યાનો અનુભવ થયો તેને કડવાશ કહીએ છીએ. મરચું જમ્યાનો અનુભવ થયો તેને તીખાશ કહીએ છીએ. તેમ મૂર્તિમાં જોડાવાથી જે અનુભવ થાય તેને મૂર્તિનું સુખ કહેવાય છે. માટે મૂર્તિ સિવાય બીજા કોઈ પદાર્થ,વસ્તુ કે વ્યક્તિ માટે સુખ શબ્દ ન વપરાય.

          મૂર્તિ અને મૂર્તિનું સુખ આ બે જુદા નથી. મૂર્તિ એટલે જ સુખ અને સુખ એટલે જ મૂર્તિ. જેમ ફૂલ અને સુવાસ આ બે જુદા નથી માટે ફૂલ એટલે જ સુવાસ અને સુવાસ એટલે જ ફૂલ. ફૂલ હોય તો જ સુવાસ હોય. એ જ રીતે સાકર અને ગળપણ આ બે જુદા નથી. માટે સાકર એ જ ગળપણ અને ગળપણ એ જ સાકર. તેમ મૂર્તિ અને મૂર્તિનું સુખ એક જ છે, જુદા નથી.

  • મૂર્તિનું સુખ કેવું છે તેનું વર્ણન મોટા સંતોએ કર્યું છે :
  1. મૂર્તિનું સુખ એ જ સાચું સુખ છે. મૂર્તિ સિવાય બીજા કોઈ માટે સુખ શબ્દ ન વપરાય.
  2. મૂર્તિનું સુખ કાયમી છે.
  3. મૂર્તિના સુખનો પાર આવે તેમ નથી. માટે તે અપાર અપાર છે.
  4. મૂર્તિમાંથી નિત્ય નવાં ને નવાં સુખો ઉત્પન્ન થાય છે.
  5. મૂર્તિમાં અનંત અને અપરંપાર સુખ છે.
  6. મૂર્તિનું સુખ જે ભોગવે તેને મૂર્તિ સાથે રોમરોમપણે રસબસ કરી દે છે.
  7. મૂર્તિનું સુખ જે ભોગવે તે બીજાં સર્વે સુખમાંથી લુખ્ખો બની જાય.
  8. મૂર્તિનું સુખ ભોગવે તેને એ સુખ ભોગવવામાં તૃપ્તિ જ ન થાય.
  9. મૂર્તિનું સુખ જે ભોગવે તેને મૂર્તિ સિવાય બીજું કાંઈ ન રહે.
  10. એ મૂર્તિનાં સુખમાં ઝળળળ ને ફરરર તેજની શેડ્યો છૂટે છે.
  11. દરેક અનાદિમુક્તોને આગવી મૂર્તિ છે. માટે તેમનું સુખ પણ આગવું છે; તેમાં ભાગ પડતો નથી.
  12. જેમ ઘી જમ્યા પછી કોઈ પૂછે કે, ‘ ઘી કેવું લાગે છે ? ’તો તેનું વર્ણન શું કરવું ? તેના માટે એટલું જ કહી શકાય કે,‘જે જમે તેને જ ખબર પડે.’ તેમ જે મૂર્તિનું સુખ માણે તેને જ ખબર પડે કે સુખ કેવું છે ?