ગુરુવર્ય પ.પૂ. બાપજી ઈ.સ.1971ની સાલમાં હાલાર પ્રાંતમાં વિચરણ માટે પધાર્યા હતા.જામનગર જિલ્લાના કાલાવાડના હરિભક્તોના અતિશે આગ્રહથી ગામમાં પધરામણી તથા સભાના કાર્યક્રમનું આયોજન થયું હતું.

      સભામાં ગામના મુમુક્ષુ હરિભક્તો તથા બાપાશ્રીના પરમ કૃપાપાત્ર, રાજીપો મેળવનાર રાજકવિ માવદાનજી રત્નુ આદિક બેઠા હતા.

     ગુરુવર્ય પ.પૂ. બાપજી શ્રીજીમહારાજના મહિમાની વાત કરી રહ્યા હતા. ત્રીસેક હરિભક્તો સભામાં હતા.

     વળી તે વખતે માઇકની કોઈ વ્યવસ્થા ન હોવાથી સભામાં બેઠેલા હરિભક્તોને સંભળાય તેટલા સાદે ગુરુવર્ય પ.પૂ. બાપજી કથા કરતા હતા.

     ચાલુ સભાએ સભામાં જ બેઠેલા નરેન્દ્રભાઈ સહજાનંદીએ ઊભા થઈ ગુરુવર્ય પ.પૂ. બાપજીને પ્રાર્થના કરી કે, “દયાળુ, સહેજ ઊંચા અવાજે કથા કરો તો બહાર ઓસરીમાં મહિલા હરિભક્તો બેઠાં છે તેમને પણ સંભળાય અને કથાનો લાભ મળે.”

     ગુરુવર્ય પ.પૂ. બાપજીએ મોટેથી કથા કરવાને બદલે કથા જ બંધ કરી દીધી અને કથાની જય બોલાવી ઊભા થઈ ગયા.

     હરિભક્તો બધા આશ્ચર્યમાં પડી ગયા : સ્વામીએ આ શું કર્યું ? કથાની જય કેમ બોલાવી દીધી ?

     ગુરુવર્ય પ.પૂ. બાપજીએ રહસ્ય સ્ફોટ કરતાં કહ્યું કે, “ત્યાગી સંતોએ અષ્ટ પ્રકારે બ્રહ્મચર્ય પાળવું એવી શ્રીજીમહારાજની આજ્ઞા છે. એ મુજબ સ્ત્રીઓને ઉદ્દેશીને અમારાથી કથા ન કરાય. શ્રીજીમહારાજે શિક્ષાપત્રીના 179મા શ્લોકમાં અમને આજ્ઞા કરી છે કે, “ न कार्य स्त्रीः समुद्दिश्य़ भगवद्गुळकीर्तनम्” અર્થાત્ “સ્ત્રીઓને ઉદ્દેશીને કથાવાર્તા-કીર્તન પણ ન કરવાં.”

     ત્યારબાદ હરિભક્તોએ કહ્યું, “કાંઈ નહિ સ્વામી, અમને તો  કથાનો લાભ આપો.” ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યું , “ જો હવે અમે કથા કરીએ ને મહિલાઓ બહાર બેઠાં છે તો તેમને ઉદ્દેશીને જ કથા કરી કહેવાય. કારણ, થોડુંઘણું તો તેમને સંભળાય જ. માટે અમારાથી કથા નહિ થાય.જો તમે અમને મહિલાઓ બહાર બેઠા છે અને સાંભળે છે એવું ન જણાવ્યું હોત અને લાભ લેતા હોત તો વાંધો ન આવત... પણ હવે તો આજ્ઞા લોપાય.”

     હરિભક્તોનો અતિશે આગ્રહ હોવા છતાં ગુરુવર્ય પ.પૂ. બાપજીએ તેમાં સમાધાન કર્યું નહીં.

     સભામાં બેઠેલા હરિભક્તો ગુરુવર્ય પ.પૂ. બાપજીના અષ્ટાંગ બ્રહ્મચર્ય પાળવાના આગ્રહને વંદી રહ્યા : “ધન્ય છે આ સંતને ! જે શ્રીજીમહારાજની નિષ્કામી વર્તમાનની આજ્ઞાને લેશમાત્ર લોપવા તૈયાર નથી..”