મોટા મંદિરે ગુરુદેવ પ.પૂ. બાપજી બિરાજતા ત્યારે તેમણે રમણભાઈ કાછિયાને પ્રદક્ષિણામાં સત્સંગ કરાવેલો. તેઓ સત્સંગમાં બળિયા થતાં ગુરુદેવ પ.પૂ. બાપજીના આસને દર્શન-સમાગમનો લાભ લેવા અવારનવાર આવતા. ગુરુદેવ પ.પૂ. બાપજીની કાયમી રીત મુજબ તેમને એકલા બેસાડી બેસાડી શ્રીજીમહારાજની સર્વોપરી ઉપાસના અને નિયમ-ધર્મની દૃઢતા કરાવતા.

તેમને મંદિરમાં રહેતા એક વડીલ પાર્ષદ ભગત સાથે હેત હતું. તેથી તેઓ અવારનવાર દર્શન માટે પણ જતા. એક સમયે રમણભાઈ ગુરુદેવ પ.પૂ. બાપજીના આસને સતત પાંચ-સાત દિવસથી સમાગમ કરવા આવતા હતા. એક દિવસ બે-ચાર સંતો તેમને ગુરુદેવ પ.પૂ. બાપજીના આસનેથી આવતા જોઈ ગયા. તેઓને ખ્યાલ હતો કે, રમણભાઈને આ ભગત સાથે હેત છે. તેથી તેઓએ આ ભગતને બોલાવ્યા અને તેમની હાજરીમાં રમણભાઈને ધમકાવવા માંડ્યા.

રમણભાઈને ગુરુદેવ પ.પૂ બાપજીની સાધુતા અને નિયમ-ધર્મથી મહિમા થયો હતો. તેથી તેમને સંતોની વાતમાં કંઈ સમજાયું નહીં. થોડી વારે સંતો ગયા પછી તેમણે આ ભગતને પૂછ્યું કે, “હું શું કરું? દેવસ્વામીના આસને કથા સાંભળવા જાઉં ?" આ ભગત ગુરુદેવ પ.પૂ. બાપજીના સિદ્ધાંતવાદી જીવન અને સાધુતાથી પરિચિત હતા તેથી અહોભાવ સાથે કહ્યું કે, “જો આ મંદિરમાં ચારસો સાધુ છે તેમાં દેવસ્વામી છે એ સાચા હીરા જેવા સાધુ છે. તેમની સાધુતામાં લગીરેય પોલ નથી. અમે તો આબરૂ ને મર્યાદાના માર્યા એમની પાસે જઈ શકતા નથી. પરંતુ તમે જરૂર તેમનો સમાગમ કરજો એવી હું તમને અંગત ભલામણ કરું છું. બધા ભલે જે બોલતા હોય પણ તું કોઈની સામે ન જોતો. એમનો લાભ લેવાય એટલો લઈ લેજે.”

“સાચા શૂરા રે, જેના વેરી ઘાવ વખાણે.”