તા. 13-5-17 ને શનિવારના રોજ વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી વડોદરા ખાતે પ્રાત: સભામાં લાભ આપવા પધારવાના હતા.

      પ.પૂ. સ્વામીશ્રી સ્વામિનારાયણ ધામ ગાંધીનગરથી તો સમયસર નીકળ્યા પણ રસ્તામાં ટ્રાફિક (ભીડ-ભાડ)ને કારણે વડોદરા મંદિરે પંદર-વીસ મિનિટ મોડું પહોંચાયું.

      પ.પૂ. સ્વામીશ્રી મંદિરમાં મહારાજનાં દર્શન કરતા હતા તે વખતે માઇકમાં એનાઉન્સિંગ થયું કે, “હવે પૂ. ધર્મસ્વામી લાભ આપશે.”

      પૂ. ધર્મસ્વામીની સભા શરૂ થઈ ગઈ હોવાથી પ.પૂ. સ્વામીશ્રીએ કહ્યું, “હવે અલ્પાહાર સભા પછી કરીશું.”

      પૂ.સંતોએ પ.પૂ. સ્વામીશ્રીને પ્રાર્થના કરી કે, “સ્વામી, અલ્પાહાર કરીને સભામાં પધારોને...”

      “ના, પછી કરીશું.”

      “દયાળુ, આપ અલ્પાહાર નહિ લો તો પછી આપને ભારે એસીડીટી થઈ જાય છે ને આપનું સ્વાસ્થ્ય પછી સારું રહેતું નથી.”

      “સ્વામી, અમને કંઈ નહિ થાય.”

      “દયાળુ, હજુ પૂ. ધર્મસ્વામીને લાભ આપતાં દસ મિનિટ થશે. અને આપને અલ્પાહાર કરતાં માત્ર સાત-આઠ મિનિટ થાય છે; તો પછી દયાળુ અમારી પ્રાર્થના સ્વીકારો.”

       પરંતુ પ.પૂ. સ્વામીશ્રી એકના બે ન થયા અને પૂ. સંતોને ટકોર કરતાં કહ્યું,

       “સંતો, ધર્મસ્વામી હોય કે નાનામાં નાના સંત હોય પણ તેમના દ્વારા બોલનારા સ્વયં મહારાજ જ છે. આ કોઈ સંતની કથા નથી જતી. સ્વયં મહારાજનો લાભ જાય છે. માટે પહેલાં લાભ પછી અલ્પાહાર.”